ઉનાના ગાંગડા ગામની સીમમાં એક અસાધારણ વીરતાનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 60 વર્ષીય પિતા, બાબુભાઈ નારણભાઈ વાજાએ પોતાના 27 વર્ષીય પુત્ર શાર્દુલને ખૂંખાર દીપડાના જડબામાંથી છોડાવવા માટે જીવના જોખમે લડત આપી અને દીપડાને મોતને ઘાટ ઉતાર્યો. આ ભયાવહ ઘટના મોડી રાત્રે તેમના વાડી વિસ્તારમાં બની હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, બાબુભાઈ રાત્રે પોતાના ઘરની ઓસરીમાં બેઠા હતા ત્યારે અચાનક અંધારાનો લાભ લઈને એક દીપડાએ તેમના પર હુમલો કર્યો. પિતાની ચીસો સાંભળીને તેમનો પુત્ર શાર્દુલ તાત્કાલિક દોડી આવ્યો. પુત્રને જોઈને દીપડાએ બાબુભાઈને છોડી દીધા અને શાર્દુલ પર જીવલેણ હુમલો કરીને તેને જડબામાં પકડી લીધો.
પોતાના પુત્રને મોતના મુખમાં જોઈ, પિતા બાબુભાઈએ પોતાની જાનની પરવા કર્યા વિના દીપડાનો સામનો કર્યો. તેમણે તાત્કાલિક નજીકમાં પડેલા દાતરડા વડે દીપડા પર પ્રહાર કર્યો. દાતરડાના ઘાતક ઘા વાગતા દીપડાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
આ લોહિયાળ જંગમાં પિતા અને પુત્ર બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બંને ઘાયલોને પ્રથમ ઉનાની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
60 વર્ષીય બાબુભાઈને દીપડાના નહોર અને દાંતના કારણે શરીરે ગંભીર ઈજાઓ થઈ છે, જેના માટે તેમને 50 થી વધુ ટાંકા લેવા પડ્યા છે. શાર્દુલને પણ આ હુમલામાં ઈજાઓ પહોંચી છે.
As per official sources
જસાધારના આર.એફ.ઓ. (RFO) સહિત વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. વન વિભાગે મૃત દીપડાનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો છે. દીપડા પર હુમલો કરવા માટે વપરાયેલા દાતરડાને પણ વન વિભાગે તપાસ માટે કબજે લીધું છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.