કર વ્યવસ્થા

બજેટ ૨૦૨૬: વેરાના દરોમાં રાહત નહિ પણ ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસને પ્રાધાન્ય

Bhavya D. Popat February 2, 2026 • 9 min read
શેર કરો:
0:00
AUDIO

નાણામંત્રી નિર્મલા સીથારમણ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬ ૨૭ માટેનું કેન્દ્રિય સામાન્ય બજેટ ૦૧ ફેબ્રુઆરી રવિવારે સંસદ સમક્ષ રજુ કરવામાં આવ્યું. બજેટ ઉપર સૌ કોઈની મીટ માંડેલી હોય છે. આ બજેટમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ ટેક્સ રાહતો અને વહીવટી સરળીકરણની અપેક્ષા સેવતા હોય છે તો સામાન્ય નાગરિક ટેક્સના દરોમાં રાહતની અપેક્ષા સેવતા હોય છે. આ બજેટમાં કરદાતાઓ માટે ટેક્સના દરમાં તો કોઈ રાહત આપવામાં આવી નથી. પણ હા, બજેટમાં "ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ" ને લક્ષમાં રાખી અનેક વહીવટી રાહતો આપવામાં આવી છે તેમ ચોક્કસ કઈ શકાય. આ પ્રસ્તાવોનો મુખ્ય હેતુ કરદાતાઓને રાહત આપવાનો, કરપાલન સરળ બનાવવાનો અને લાંબા સમયથી ચાલતા વિવાદોને ઘટાડવાનો છે. સાથે જ કેટલાક કડક પગલાં પણ સૂચવવામાં આવ્યા છે, જે કરશિસ્ત જાળવવા માટે મહત્વપૂર્ણ ગણાય છે. કરદાતાઓ માટે સકારાત્મક અને રાહતરૂપ જોગવાઈઓ પૈકી એક મહત્વનો નિર્ણય એ છે કે મોટર વાહન અકસ્માતમાં મળતી ઈજા વળતર રકમ (Motor Vehicle Injury Compensation)ને સંપૂર્ણપણે કરમુક્ત બનાવવા પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. આ નિર્ણય માનવિય દૃષ્ટિકોણથી ખૂબ આવકારદાયક છે. વિદેશ પ્રવાસ પેકેજ, તેમજ વિદેશમાં અભ્યાસ અને સારવાર માટે થતી ચુકવણી પર લાગતો TCS (Tax Collected at Source) નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવ્યો છે. આથી વિદ્યાર્થીઓ, દર્દીઓ અને તેમના પરિવારજનો પરનો કરબોજ હળવો થશે. શેરોમાંથી મળતી આવક (Dividend/Share Income) માટે હવે Form 15G / 15H લાગુ પાડવાની સ્પષ્ટતા કરવામાં આવી છે, જેના કારણે વરિષ્ઠ નાગરિકો અને નાની આવક ધરાવતા કરદાતાઓને રાહત મળશે. ITR ફાઇલિંગની સમયમર્યાદામાં મહત્વપૂર્ણ ફેરફાર બજેટમાં આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની સમયમર્યાદા વધુ વ્યવહારુ બનાવવામાં આવી છે: પગારદાર આવક ધરાવતા કરદાતાઓ અને ધંધાકીય આવક ના હોય તેવા કરદાતા માટે 31 જુલાઈ સુધીમાં રીટર્ન ભરવાની મુદત કાયમી રાકવામાં આવી છે પરંતુ ઓડીટ લાગુ ના હોય તેવા ધંધાકીય આવક કરદાતાઓ માટે મુદત ૩૧ ઓગસ્ટ કરવા પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. આ એક રાહતદાયક બાબત છે. આ કારણે ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર છેલ્લા દિવસોનું ભારણ ઘટશે અને કરદાતા અને ખાસ કરીને ટેક્સ પ્રોફેશનલ્સને રાહત મળશે. આ ઉપરાંત રીવાઈઝડ રિટર્ન માટેની મુદતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. દંડ, આકારની અને વિવાદ નિવારણમાં સુધારા બજેટમાં દંડ અને આકારણી સંબંધિત જોગવાઈઓનું વ્યાપક સરલીકરણ કરવામાં આવ્યું છે. કોઈ કરદાતાના પર આકારણીમાં ટેક્સ, વ્યાજ અને દંડ લાગુ થયેલ હોય તો તેની અપીલ કરી માંગણા ઉપર સ્ટે મેળવવા માટે ટેક્સની રકમના 10% કરવા પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. આ સ્ટે મેળવવા કરદાતાએ હાલ ટેક્સ વ્યાજ સહીતની રકમ ઉપર ૨૦% ભરવા પડે છે. આ અંગે જે લાંબા સમયથી માગણી કરવામાં આવી રહી હતી. Misreporting માટે પેનલ્ટીમાંથી ઇમ્યુનિટી આપવાની જોગવાઈથી "જેન્યુઈન" ભૂલ કરનાર કરદાતાઓને રાહત મળશે. વહીવટી બાબતોમાં તકલીફ આપનારી જોગવાઈ ગણી શકાય તો તે ઓડીટ મોડું કરવા બરલ એક લાખ પચાસ હાજરની લેઇટ ફી લાગુ કરતી જોગવાઈને ગણી શકાય. ઓડીટ મોડું કરાવવા બદલ હાલ દંડની જોગવાઈ છે. પણ જમીની સ્તરે આ દંડ લાગુ કરાવવામાં આવતો નથી. હવે આ દંડની જગ્યાએ લેઈટ ફી દાખલ કરવામાં આવી છે. લેઇટ ફી એ સ્વયંસંચાલિત રીતે (ઓટોમેટીક) લાગી જતી હોય હવે કરદાતાઓએ ઓડીટ મોડું કરવું આકરું સાબિત થઇ જશે. એક મહિના સુધી ઓડીટ મોડું થયું હોય તો પંચોતેર હાજર અને તેનાથી વધુ મોડું થયું હોય તો એક લાખ પચાસ હાજર એમ માસ મોટી લેઇટ ફી લાગુ કરવા પ્રસ્તાવ છે. આ બાબતે વિવિધ સંગઠનોએ રજૂઆત કરવી જરૂરી બનશે કારણકે ઓડીટ લાગુ હોય અને લેઈટ થયા હોય તેમાં માત્ર મોટા ઉદ્યોગો જ નહિ પરંતુ અનેક MSME એટલે કે નાના અને માધ્યમ કદના ધંધાર્થીઓનો પણ સમાવેશ થાય છે. એક બીજી મહત્વની રાહત અંગે જે પ્રસ્તાવના કરવામાં આવી છે તેમાં અપડેટેડ રીટર્ન હવે ફેરઆકારણીની નોટીસ સામે ભરવાની ચૂત આપવામાં આવી છે. આ કારણે કરદાતા પાસે ફેરઆકારણીની નોટીસ આવે ત્યારે અપડેટેડ રીટર્ન ભરવાનો વિકલ્પ મળી રહેશે. વિદેશી સંપત્તિ (Foreign Assets) સંબંધિત મહત્વના પગલાં બજેટમાં 6 મહિનાની Foreign Assets Disclosure Scheme રજૂ કરવામાં આવી છે, જેમાં વ્યક્તિગત કરદાતાઓ માટે મર્યાદા ₹1 કરોડ અન્ય માટે ₹5 કરોડ નક્કી કરવામાં આવી છે. આવા કરદાતાઓને એક વખત માટે હજુ પોતાની વિદેશી સંપતિ જાહેર કરવાની તક આપવામાં આવશે. આ ઉપરાંત ₹20 લાખ સુધીની વિદેશી સંપત્તિ જાહેર ન કરવાના કેસમાં રેટ્રોસ્પેક્ટિવ ઇમ્યુનિટી આપવાનો નિર્ણય એક મોટું રાહત માટેનું પગલું ગણી શકાય. બિઝનેસ અને કોર્પોરેટ ટેક્સમાં મહત્વના ફેરફાર ગણી શકાય જ્યાં શેર બાયબેક (Buyback)ને હવે Income from Other Sources નહીં પરંતુ Capital Gains તરીકે ગણવામાં આવશે. નવા ટેક્સ રજીમ હેઠળની કંપનીઓને MAT Credit Set-off કરવાની મંજૂરી આપવામાં આવી છે. MATને અંતિમ કર (Final Tax) તરીકે માન્ય રાખવાથી ભવિષ્યમાં MAT ક્રેડિટ એકઠી થવાની સમસ્યા ટળશે. ક્લાઉડ સર્વિસિસ આપતી વિદેશી કંપનીઓને લાંબો ટેક્સ હોલિડે આપવાની જાહેરાત કરવામાં આવી છે, જે ડિજિટલ ઇકોનોમીને પ્રોત્સાહન આપશે. Presumptive Taxation હેઠળ આવક જાહેર કરનાર NRI માટે MATમાંથી મુક્તિ આપવામાં આવી છે. એકંદરે જોવામાં આવે તો બજેટ 2026–27ના ડાયરેક્ટ ટેક્સ પ્રસ્તાવો રાહત, સરળીકરણ અને કરશિસ્ત વચ્ચે સંતુલન સાધવાનો પ્રયત્ન કરે છે. સામાન્ય કરદાતાઓ, વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો અને બિઝનેસ માટે અનેક સકારાત્મક પગલાં લેવામાં આવ્યા છે, જ્યારે કેટલાક કડક નિયમો દ્વારા કરપાલનમાં શિસ્ત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટેક્સ સ્લેબમાં કોઈ રાહતો આપવામાં આવી નથી જેનાથી સામાન્ય કરદાતાને થોડી નિરાશા થઇ હશે તે ચોક્કસ છે. પણ માત્ર લોક લુભાવણું બજેટ આપવાના બદલે ભવિષ્ય તરફ નજર કરતુ આ બજેટને ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસના સંદર્ભે એકંદરે સારું ગણી શકાય.

Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

Advertisement
TEST AD - SHOULD SHOW