બજારની જરૂર સાથે સુસંગત ન હોવાને કારણે કેટલાંક સ્નાતકોને રોજગાર મળતો નથી: નિષ્ણાંતો
એમ.એસ. યુનિવર્સિટી ઓફ બરોડાના કોમર્સ ફેકલ્ટીના એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કેન્દ્રિય બજેટ-૨૦૨૬ અંગે વિશ્લેષણ અને ચર્ચા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના એસ.સી. મહેતા ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ અને યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. ભાલચંદ્ર મહાદેવ ભાનગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન તેમજ એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ વિભાગના વડા અને ડીન પ્રો. (ડો) પ્રજ્ઞેશ શાહનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. કાર્યક્રમ દરમિયાન આંતરરાષ્ટ્રીય કર નિષ્ણાત મુકેશ પટેલે બજેટમાં સરકાર દ્વારા ફેક્ટ્સ આધારિત દિશામાં લેવામાં આવેલા પગલાંની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વ્યક્તિગત કર માળખામાં કોઈ ફેરફાર ન કરવાથી નાણાકીય બજારમાં સ્થિરતા જળવાઈ રહી છે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે સતત બદલાતા ટેક્સ કાયદાઓને કારણે સામાન્ય કરદાતાઓમાં ગૂંચવણ ઊભી થાય છે. નિષ્ણાતોએ સિક્યોરીટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં થયેલા ફેરફારો, જીડીપીના ગુણોત્તર અને સોનાના જથ્થા અંગેની આર્થિક માહિતી પર પણ પ્રકાશ પાડ્યો હતો. આ મુદ્દાઓ પર ચર્ચા કરતાં તેમણે જણાવ્યું હતું કે નીતિગત સ્થિરતા અર્થતંત્ર માટે અત્યંત આવશ્યક છે. કાર્યક્રમ દરમિયાન એક મહત્વપૂર્ણ મુદ્દા તરીકે ઉચ્ચ શિક્ષણ અને રોજગાર વચ્ચેના અંતર અંગે ચર્ચા થઈ હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આજના સમયમાં ઘણા સ્નાતકો બેરોજગાર રહેવાનું મુખ્ય કારણ તેમનું શિક્ષણ વર્તમાન બજારની જરૂરિયાતો સાથે સુસંગત ન હોવું છે. શિક્ષણ વ્યવસ્થામાં વ્યાવસાયિક કુશળતા અને પ્રાયોગિક જ્ઞાન પર વધુ ભાર મૂકવાની જરૂર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. અંતે, વક્તાઓએ કહ્યું હતું કે બજેટ માત્ર આંકડાઓનો દસ્તાવેજ નથી, પરંતુ તે દેશના આર્થિક વિકાસ અને માનવ સંસાધન વિકાસની દિશા નક્કી કરતું મહત્વપૂર્ણ સાધન છે. આ તકે જાણીતા રોકાણ માર્ગદર્શક CA જગદીશ ઠક્કર, ભૂતપૂર્વ રેવન્યુ ઓફિસર સંજય સારસ્વત, દેવાંશ શાહ તથા સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલટન્ટના પ્રેસીડન્ટ એમીરેટ્સ અને જાણીતા એડવોકેટ ભાસ્કરભાઈ પટેલ અને એસોસીએશનના અગ્રણી સભ્યો ખાસ હાજર રહ્યા હતા. નવભારત મિરર સાથે વાત કરતા ભાસ્કરભાઈ પટેલએ જણાવ્યું હતું કે બજેટ ઉપર કોમર્સના વિદ્યાર્થીઓ સાથેનો આ પ્રકારનો વાર્તાલાપ વિદ્યાર્થીઓને વ્યવહારિક જ્ઞાન આપવામાં ખુબ ઉપયોગી થતો હોય છે. આ કાર્યેક્રમને એમ એસ યુનીવર્સીટીના કોમર્સ ડીપાર્ટમેન્ટ તથા સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો.

Additional Image

Additional Image
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.