જામનગરની સ્ટેટ જીએસટી કચેરીમાં ફરજ બજાવતા બે ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજ પરથી મોકૂફ (સસ્પેન્ડ) કરી દેવાતા
સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જાગી છે. આ કાર્યવાહીને પગલે સરકારી વિભાગોમાં ખળભળાટ મચી ગયો છે, જોકે આ સસ્પેન્શન પાછળના ચોક્કસ કારણો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
બિનસત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, શહેરમાં છેલ્લા કેટલાક સમયથી જીએસટી ચોરીના મામલાઓ સતત સમાચારોમાં રહ્યા છે. અગાઉ શહેરના ત્રણ જાણીતા સીએ (CA) કરોડોની ટેક્સ ચોરીના કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું, જેમના પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
આ તપાસના તાર સ્ટેટ જીએસટી કચેરીના અધિકારીઓ સુધી પહોંચ્યા હોવાની આશંકા સેવાઈ રહી હતી. તાજેતરમાં એક સીએને ત્યાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન પણ કેટલાક અધિકારીઓની ભૂમિકા શંકાના દાયરામાં આવી હતી.
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે આજે અચાનક જ બે અધિકારીઓ સામે સસ્પેન્શનના આદેશ છૂટતા અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. ઉચ્ચ અધિકારીઓ હાલ આ મામલે મૌન સેવી રહ્યા છે, પરંતુ આ કડક પગલાને કારણે ટેક્સ ચોરી અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અન્ય તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.