વસ્તી નીતિમાં ઐતિહાસિક બદલાવ
ભારતમાં અત્યાર સુધી 'હમ દો હમારે દો'નો નારો ગુંજતો હતો, પરંતુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ એક નવી ક્રાંતિની જાહેરાત કરી છે. રાજ્યમાં ઘટતા જન્મદરને રોકવા માટે સરકારે 'વસ્તી વ્યવસ્થાપન નીતિ'નો ડ્રાફ્ટ રજૂ કર્યો છે, જેમાં ત્રીજા બાળકનો જન્મ આપનાર દંપતીને ₹25,000ની પ્રોત્સાહક રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
શા માટે વસ્તી વધારવી જરૂરી બની?
મુખ્યમંત્રીએ વિધાનસભામાં ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશનો પ્રજનન દર (TFR) 1993માં 3.0 હતો જે હવે ઘટીને માત્ર 1.4 થઈ ગયો છે. તેમણે ચેતવણી આપી હતી કે, "જો આ જ ગતિ રહી તો આંધ્રપ્રદેશની હાલત પણ જાપાન, દક્ષિણ કોરિયા અને ઈટાલી જેવી થશે, જ્યાં યુવાનો ઓછા અને વૃદ્ધોની સંખ્યા વધુ છે." અંદાજ મુજબ ૨૦૪૭ સુધીમાં રાજ્યની 23% વસ્તી વૃદ્ધ થઈ જશે, જે આર્થિક વિકાસ માટે જોખમી છે.
સરકારની મોટી ઓફરો અને પ્રોત્સાહન
માત્ર રોકડ જ નહીં, પરંતુ સરકારે અનેક સુવિધાઓની પણ જાહેરાત કરી છે:
- શિક્ષણ: ત્રીજા બાળકને 18 વર્ષની ઉંમર સુધી મફત શિક્ષણ આપવામાં આવશે.
- રજાઓ: ત્રીજા બાળકના જન્મ પર માતાને 12 મહિનાની મેટરનિટી લીવ અને પિતાને 2 મહિનાની પેટરનિટી લીવ મળશે.
- આરોગ્ય: વંધ્યત્વની સમસ્યા ધરાવતા લોકો માટે સબસિડીવાળી IVF સેવાઓ ઉપલબ્ધ કરાવાશે.
- માસિક સહાય: ત્રીજા બાળક માટે દર મહિને ₹1,000ની વધારાની સહાય આપવામાં આવશે.
રાજકીય પાસું: સીમાંકનનો ડર
આ નીતિ પાછળનું એક મોટું કારણ આગામી લોકસભા બેઠકોનું સીમાંકન (Delimitation) પણ માનવામાં આવે છે. દક્ષિણ ભારતના રાજ્યોને ડર છે કે જો તેમની વસ્તી ઘટશે, તો સંસદમાં તેમનું પ્રતિનિધિત્વ અને રાજકીય વર્ચસ્વ પણ ઘટી જશે. આ નીતિને 1 એપ્રિલ, 2026 થી લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.